

મોરબી જિલ્લામાં સીલીકોસીસના કારણે પીડીત પરિવારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ જિલ્લામાં 100થી વધુ સીલીકોસીસ પીડીત પરિવારો વસે છે, અને તેમના હક્કો માટે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી સતત અવાજ ઉઠાવી રહ્યું છે.આજે સંઘના આશરે 30 જેટલા સભ્યોએ મોરબી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની મૂળભૂત જરૂરિયાતોને લઈને આવેદન પત્રો રજૂ કર્યા હતા.સંઘે રજૂઆતમાં જણાવ્યું કે, **મોરબી સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાં નિષ્ણાત (Chest Specialist)**ની તાત્કાલિક નિમણૂક કરવી જરૂરી છે. હાલ અહીં માત્ર ઇન્ટર્ન ડૉક્ટરોની હાજરી હોવાથી ગંભીર દર્દીઓને યોગ્ય નીદાન અને સારવારથી વંચિત રહેવું પડે છે.કલેક્ટરશ્રી દ્વારા સીલીકોસીસ પીડીતોને મફત સારવાર આપવા હુકમ આપવામાં આવ્યો હોવા છતાં, નિષ્ણાત ડૉક્ટરનો અભાવ આ હુકમને અમલમાં આવવા નથી દેતો.સંઘના નેતાઓએ જણાવ્યું કે તા. 07/01/2025ના રોજ કલેક્ટર સમક્ષ 7 માગણીઓ રજૂ કરાઈ હતી. બાદમાં, તા. 25/08/2025ના રોજ કલેક્ટરશ્રી દ્વારા આગામી સપ્તાહમાં પીડીતોની બેઠક બોલાવી ચર્ચા કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતું.પરંતુ, માર્ચથી ઓગસ્ટ 2025 દરમિયાનના માત્ર 6 મહિનામાં જ સંઘના 7 સભ્યોનું સીલીકોસીસના કારણે દુઃખદ અવસાન થયું છે.હાલ, સંઘે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે અગાઉ રજૂ કરાયેલ 7 માગણીઓમાંથી “અંત્યોદય રેશન કાર્ડ”ની માગને પ્રથમ પ્રાથમિકતા આપી તાત્કાલિક અમલમાં મૂકી પીડીત પરિવારોને રાહત પૂરી પાડવામાં આવે.સંઘના પ્રતિનિધિએ જણાવ્યું કે, “આ પગલાં સીલીકોસીસ પીડીત પરિવારોને જીવનજરૂરિયાતો પૂરી કરવા અને સુરક્ષિત જીવન જીવવામાં મદદરૂપ થશે.”આ મુદ્દે મોરબી મામલતદાર સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
